ધર્મશાસ્ત્રોમાં ક્હ્યું છે કે 'शरीरमाद्यंखलु धर्मसाधनम्' માનવશરીર ધર્મનું પહેલુ સાધન છે. શરીર વિના કોઇ કામ, અલબત્ત મોક્ષ પણ શક્ય નથી. તેથી શરીરની સંભાળ રાખવી જોઇએ. જીવવા માટે ખાવું (ભોજન કરવું) જરુરી છે. પરંતુ ઘણીવખત આપણે ખાવા માટે જ જીવતા હોઇએ તેવી રીતે વર્તીએ છીએ. પરિણામે અનેક પ્રકારના રોગો, ખોટુ ટેન્શન અને દોડધામ વધી જાય છે.
આયુર્વેદમાં કહ્યું છે કે शरीरं रोगमन्दिरम् । શરીર એ રોગનુ ઘર છે. આહાર વિહાર જરાપણ વિપરીત થાય એટલે તુરંત રોગ થાય. જાણવા છતા ઘણીવાર પ્રતિકૂળ પરિસ્થિતિમાં સપડાઇએ ત્યારે આપણાંથી જાણ્યે અજાણ્યે આહાર વિહારના નિયમોનો ભંગ થાય છે.તેના કારણે રોગને પ્રગટ થવાની તક મળે છે.
રોગ થયા પછી તુંરત તેનો ઇલાજ કરાવવો જોઇએ. રોગ, શત્રુ, અગ્નિ અને ઝેરને ક્યારેય નાના ન સમજવા. તે બળવાન બને તે પહેલા તેને કાબુમાં લેવા જોઇએ. રોગના ઉપચારની અનેક પદ્ધતિઓ વિકસી છે. તેમાં આયુર્વેદએ સૌથી પ્રાચીન અને સક્ષમ પદ્ધતિ છે. સમગ્ર માનવજાતના કલ્યાણ માટે દયાળુ ઋષિ મુનિઓએ દરેક રોગની ઉત્પત્તિ,નિદાન અને ઉપચાર અંગે જીણવટભર્યા સંશોધનો કરી આપણને વૈદકવિજ્ઞાનની અમૂલ્ય ભેટ આપી છે.
અમારા ગુરુવર્ય અ.નિ. સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી આયુર્વેદની ઉજ્જવળ માળાનો એક મણકો હતા. તેમણે નાની વયથી જ વૈદક વિજ્ઞાનને ખૂબ જાણ્યુ, માણ્યુ અને પચાવ્યુ હતું. જીવનની અંતિમ સંધ્યા સુધી તેમણે દર્દીનારાયણની સેવા કરી. નાતજાત અને સાંપ્રદાયિકતાથી પર ઊઠેલી એ વંદ્યવિભૂતિએ અનેક લોકોના જીવનમાં અજવાળા પાથર્યા. દવા અને દુઆની અમીવર્ષા કરી ઘણાંને મૃત્યુશૈયામાંથી ઊભા કરી,સન્માર્ગ ચીંધ્યો અને ભગવાન ઓળખાવ્યા. માનપાન, પદ, પ્રતિષ્ઠા અને પૈસાની અપેક્ષા રાખ્યા વિના આજીવન સેવાનુ સદાવ્રત ચલાવ્યુ. ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત એ મહાપુરુષે શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામીએ બતાવેલા
यावज्जीवं च शुश्रुषा कार्या मातुः पितुर्गुरोः ।
रोगार्तस्य मनुष्यस्य यथाशकित च मामकैः ।।
(અમારા આશ્રિતોએ માતાપિતા,ગુરુ અને રોગાતુર મનુષ્યની જીવનપર્યંત યથાશકિત સેવા કરવી) એ આદર્શને પુરેપુરો ચરિતાર્થ કરી બતાવ્યો
પૂ. સ્વામીએ ક્યારેય આયુર્વેદ સંબંધી પુસ્તક લખવાનો વ્યવસ્થિતરીતે પ્રયાસ કર્યો નહોતો. પરંતુ આયુર્વેદ અંગેના પોતાની અગાધજ્ઞાનરાશી અને અનુભવના નિચોડને નોટો, ડાયરીઓ અને પત્રોમાં શબ્દબદ્ધ કર્યા હતો. આ લોકોપયોગીજ્ઞાન નાનામાં નાના માણસ સુધી પહોંચે અને તેના જીવનમાં ઉપયોગી થાય એવા શુભાશયથી તેને પુસ્તકરુપે આપ સમક્ષ મૂકવા પ્રયત્ન કર્યો છે.
પુત્રોની પિતાના અને શિષ્યોની ગુરુના અધુરા સત્કાર્યો પુરા કરવાની ફરજ છે એમ માની પૂ. સ્વામીએ સ્થાપેલી શ્રી સહજાનંદ ગુરુકુળ-ખાંભા સંસ્થા દ્વારા અવાર નવાર વિવિધરોગ નિદાન,ઉપચાર કેમ્પો યોજાય છે.
સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બનીને પાંગરતી જાય છે. સંસ્થા દ્વારા બાલમંદિરથી ધોરણ ૧૦ સુધીની વિદ્યાલય, પાઠશાળા અને છાત્રાલય ચાલે છે. સંસ્થા ગૌસેવા, પ્રભુસેવા, જનસેવા અને સાહિત્યસેવા પણ કરે છે.
સંસ્થા દ્વારા દર મહિને 'સ્વામિનારાયણ દર્શન' માસિક પણ પ્રકાશિત થાય છે. સંસ્થાને પોતાની વેબ સાઇટ પણ છે.
પૂ. સ્વામીના લખાણોમાંથી જે રોગના ઘરગથ્થુ ઉપચારો થઇ શકે અને બીજીકોઇ આડઅસરો ન થાય તેવા પ્રયોગોનો જ આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. દરેક ઉપચારની ચોક્કસાઇ અને વધુ વિગત માટે આયર્વેદના મૂર્ધન્યગ્રંથો જેવાકે ચરકસંહિતા, આર્યભિષક, રસતંત્રસાર, વૈદકપ્રકાશ વગેરે તથા ધન્વંતરીના અંકોનો પણ સહારો લીધો છે. અત્રે આપેલા બધા જ ઉપચારો સ્વામીએ અજમાવેલા જ હશે એમ કહી શકાય નહીં. તેથી સુજ્ઞા જીજ્ઞાાસુઓને અમારુ નમ્ર સૂચન છે કે કોઇપણ ઉપચારનો પ્રયોગ પોતાની વિવેકબુદ્ધિથી કરવો.
પૂ. શાસ્ત્રી સ્વામીના આયુર્વેદના અનુભવના અગાધજ્ઞાનરાશીના પ્રસાદની જીજ્ઞાસુઓ તરફથી ખૂબ જ માંગ હોવાથી આ ગ્રંથની સાતમી આવૃત્તિ આપ સમક્ષ મુકતા ધન્યતા અને આનંદ અનુભવું છું. આ પુસ્તક સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દૈનિક 'ફુલછાબ'માં પણ ક્રમિકરીતે પ્રગટ થયુ હતું. એ જ એની લોકપ્રિયતા બતાવે છે. આ ગ્રંથમાં શક્ય તેટલું સરળ,સચોટ અને સંક્ષિપ્ત નિરુપણ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. છતા ક્યાંય ક્ષતિ લાગે તો ક્ષમ્ય ગણશો. हसन्ति दुर्जना यत्र समादधति साधवः । એ ન્યાયે ક્ષતિઓ પ્રત્યે અમારુ ધ્યાન દોરજો.
આ ગ્રંથના લેખન પ્રકાશનમાં મદદરુપ થનાર અમારા મંડળના સૌ સંતો તથા નામી અનામી સૌનુ ભગવાન ભલુ કરે એજ શ્રીચરણોમાં અભ્યર્થના....
લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ
સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદસ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજીસ્વામી,સદ્. શ્રી નારાયણદાસજીસ્વામી,સદ્. શ્રી માધવદાસજી સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રીએગુજરાત યુનિવર્સીટીથીબી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજવેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકીસમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.
પૂ. સ્વામીશ્રીએશ્રી સહજાનંદ ગુરુકુળખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથાપારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભાગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૫૪ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્યપ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે.
છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એજ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.
-શ્રી સહજાનંદ ગુરુકુળખાંભા પરિવાર